- અમદાવાદના લાંભા એએમસી વોર્ડ ઓફિસનો કરાયો ઘેરાવ
- નારોલ સબઝોનલ ઓફીસ પર સ્થાનિકોએ કર્યો વિરોધ
- પાયાની સુવિધાઓ ન મળતી હોવાથી સ્થાનિકો નારાજ
- પાયાની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ
- પાણી, રસ્તા, ડ્રેનેજ લાઈનની સુવિધા ન હોવાનો આરોપ
અમદાવાદના દક્ષિણ ઝોનમાં પાયાની સુવિધાઓને લઈને નારોલ સબઝોનલ ઓફિસ પર સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે સબઝોનલ ઓફિસ પહોંચ્યા હતાં. સ્થાનીકોમાં પાણી, રોડ, ડ્રેનેજ લાઈનની સુવિધાઓ નહીં મળતાં ભારે રોષ ફેલાયો છે. ત્યાના રહીશોએ સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો અને સબઝોનલ ઓફિસમાં સ્થાનિકો દ્વારા સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.


સ્થાનિક પ્રશ્નોને ઈજનેર ખાતા દ્વારા ન્યાય ન આપવામાં આવતા નારોલ સબઝોનલ ઓફિસ ખાતે સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, 7 દિવસમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ જો નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આંદોલન કરશે. લાંભા વિસ્તારમાં વિવિધ સમસ્યાઓને લઈને સ્થાનિકો પરેશાન છે, ત્યારે નારોલ સર્કલથી અસલાલી સર્કલની વચ્ચે આવેલી કેટલીક સોસાયટીઓના રહિશો ડ્રેનેજ લાઈનની સમસ્યાને લઈને પરેશાન છે. આ રોડ પર આવેલી ટીપી 79માં ડ્રેનેજ એપ્રુવ્ડ હોવા છતાં ડ્રેનેજ લાઈન નંખાઈ ન હોવાથી આસપાસની 5 જેટલી સોસાયટીઓનું પાણી ખૂલ્લામાં વહી જાય છે. જેથી અહીં ગંદા પાણીનું તળાવ ભરાયું છે, જેને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ સમસ્યાને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે. શહેરના લાંભા વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો અવાર નવાર થાય છે ત્યારે લાંભાના સ્મશાનની હાલત હજુ પણ જર્જરિત હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યાં દીવાલ પણ બનાવવામાં નહી આવતી હોવાને કારણે અનેક સમસ્યા ઉભી થાય છે. આ બાબતે સ્થાનિક રહીશોએ મ્યુનિ. સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે . લાંભા સ્મશાનગૃહને વ્યવસ્થિત કરવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જોકે, સ્મશાનની ફરતે દીવાલ પણ બનાવવામાં આવી રહી નથી. તેમજ સ્મશાનમાં પાણી અને લાઇટ જેવી સુવિધા ઉભી કરવા તેમજ સ્મશાનની છતનું સમારકામ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
મયુરી દરજી લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ